News News - માયાવતીનો કેન્દ્ર સરકારને બિનશરતી ટેકો
- માગ્યા વગર સમાજવાદી પક્ષનું પણ સમર્થન
- રાજદ અને જદ(એસ) પણ યુપીએની પડખે
લોકસભાની ચૂંટણીમાં જોરદાર સફળતા હાંસલ કર્યા બાદ હવે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને ટેકો આપનારા પક્ષોની લાઇન જ લાગી નથી, પરંતુ હોડ જામી છે. બિનસાંપ્રદાયિકતાને મજબૂત બનાવવા અને સાંપ્રદાયિક બળોને સત્તાથી દૂર રાખવાના બહાને વધુ ૫૩ સભ્યો દ્વારા ટેકો આપવામાં આવતાં ૧૫મી લોકસભામાં યુપીએની સભ્યસંખ્યા વધીને હવે ૩૧૪ થઇ ગઇ છે.
સપા અને બસપા જેવા એકબીજાના કટ્ટર હરીફ પક્ષો ઉપરાંત રાષ્ટ્રીય લોકદળ અને અન્ય અપક્ષો દ્વારા પણ યુપીએને અનઅપેક્ષિત ટેકો આપવામાં આવ્યો છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની વિરુદ્ધમાં ચૂંટણી લડી હતી જ્યારે રાલોદ તો હવે એનડીએ છોડીને યુપીએ ગઠબંધનમાં આવી ગયું છે અને કોંગ્રેસમાં રાલોદના વિલયની શક્યતા નકારી શકાય નહીં.
સપાએ તો વગર માગે સામે ચાલીને યુપીએને ટેકો આપ્યો છે. રાજદ અને જનતા દળ(એસે) પહેલાંથી જ સમર્થન આપવાની ખાતરી આપી હતી. બસપા અને સપાએ જણાવ્યું છે કે, ભાજપને સત્તાથી દૂર રાખવા તથા બિનસાંપ્રદાયિક તાકાતોને વધુ મજબૂત કરવા માટે તેમણે યુપીએને ટેકો આપ્યો છે. સપાના ૨૩ અને બસપાના ૨૦ સભ્યો છે.
>>> માયાવતીએ શું કહ્યું
બસપા સુપ્રીમો માયાવતીએ પક્ષના નેતાઓની બેઠકમાં મંગળવારે યુપીએને કોઇ પણ શરત વગર બહારથી ટેકો આપવાની જાહેરાત કરી હતી. પક્ષની રાષ્ટ્રીય કારોબારી અને સંસદીય બોર્ડની બેઠકમાં ટેકો આપવાનો નિર્ણય લેવાયો. માયાવતીએ જણાવ્યું કે, ફોન પર થયેલી ચર્ચામાં વડાપ્રધાન મનમોહનસિંધે તેમને કેન્દ્રમાં સહકાર આપવાનો આગ્રહ કર્યોહતો.
>>> સપાનો બિનશરતી ટેકો
સપા પ્રમુખ મુલાયમસિંહ દ્વારા વિરોધ પક્ષમાં બેસવા માટે તૈયાર હોવાનું જણાવાયા બાદ પક્ષના મહામંત્રી અમરસિંહે જણાવ્યું કે, તેમણે યુપીએને ટેકો આપવાનો પત્ર રાષ્ટ્રપતિને સોંપી દીધો છે.
>>> રાલોદના વિલયની ચર્ચા
રાષ્ટ્રીય લોક દળ દ્વારા યુપીએને સમર્થન આપવાનું નક્કી જ છે. હવે નિર્ણય એ વાતનો લેવાનો છે કે, બહારથી ટેકો આપવામાં આવે કે પછી રાલોદનો કોંગ્રેસમાં વિલય કરી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીલ લોકદળે ચૂંટણી એનડીએ સાથે ચૂંટણી લડી હતી.
>>> જદ(એસ) પણ તૈયાર
ત્રણ સભ્યોના જનતા દળ(એસ)- દેવગૌડા ટૂંક સમયમાં જ પોતાનો ટેકો આપતો પત્ર કોંગ્રેસ અઘ્યક્ષને સોંપશે.
>>> સપા-બસપાની મજબૂરી
રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું કે, માયાવતી અને મુલાયમ બંને વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના મામલા અંગે સીબીઆઈ તપાસ કરી રહી છે. આવા સંજોગોમાં બંનેનું હિત સરકારની સાથે રહેવામાં છે.
>>> કોંગ્રેસે આભાર વ્યકત કર્યો
કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજયસિંહે બિનસાંપ્રદાયિક પક્ષોના સમર્થનનું સ્વાગત કરતાં તેમનો આભાર વ્યકત કર્યો છે.
>>> સાથી પક્ષોની અપેક્ષાઓ
>>> ડીએમકે :
- ૨૨ બેઠકો પર ચૂંટણી લડી, ૧૭ જીતી.
- માગણી : ઓછામાં ઓછા ૭ પ્રધાનપદ,જેમાંથી ૪ કેબિનેટમાં.
- પ્રાથમિકતા : આઈટી અને સંદેશાવ્યવહાર, શિપિંગ અને માર્ગ પરિવહન, રેલવે અને નાણામંત્રાલય
>>> તૃણમૂલ :
- ૨૮ બેઠકો પર ચૂંટણી લડી, ૧૯ જીતી.
- માગણી : ઓછામાં ઓછા ૪ પ્રધાનપદ.
- પ્રાથમિકતા : રેલવે, ખાધ અને પુરવઠા, પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલય.
- અન્ય માગણી : પ.બંગાળની વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં પહેલાં કરાવવામાં આવે.
>>> એનસીપી :
- ૧૯ બેઠકો પર ચૂંટણી લડી, ૯ જીતી.
- માગણી : ૨ પ્રધાનપદ.
- પ્રાથમિકતા : કૃષિ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, જે પક્ષની પાસે પહેલી સરકારમાં પણ હતા.
>>>નેશનલ કોન્ફરન્સ (એનસી) :
- ૩ બેઠકો પર ચૂંટણી લડી. જીતી ૩ † ૧ (લદ્દાખથી એનસીનો બળવાખોર પક્ષમાં પાછો આવ્યો.)
- માગણી : એનસી અઘ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાનો કેબિનેટમાં સમાવેશ.
- અન્ય માગણીઓ: જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિની વાસ્તવિકતા જાણવા માટે અને સમાધાન માટે કમિશનની રચના કરવી, સશસ્ત્ર સેના વિશેષ અધિકાર અધિનિયમ રદ્દ કરવો, ભારત-પાક. વાટાઘાટો અને કેન્દ્ર તથા અલગતાવાદીઓ વરચે વાટાઘાટો ચાલુ કરવી.