Today :

પ્રજાએ આપ્યો ‘હાથ’ને ‘સાથ’

કોંગ્રેસની સરકાર બનશે, ડો. મનમોહનસિંઘ ફરી વડાપ્રધાનપદે, વિકાસ, સ્થિરતા અને યુવા નેતૃત્વને ભારતની જનતાનો જનાદેશ યુપીમાં ચાલ્યો રાહુલનો જાદુ, બ્લેકમેઈલર પક્ષોને જાકારો

કોંગ્રેસને જનતાએ જાદુની ઝપ્પી આપીને પક્ષને જ નહીં પરંતુ ચૂંટણી પંડિતોને પણ આશ્ચર્યમાં નાખી દીધા છે. કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગઠબંધને વર્તમાન ચૂંટણીમાં વધુ મજબૂત થઇને દિલ્હીની ગાદી જાળવી રાખી છે. હવે, યુપીએને ૫૪૩ સભ્યોની લોકસભામાં ૨૭૨ના જાદુઈ આંકડાને પાર કરવામાં વધુ મહેનત નહીં કરવી પડે. ભાજપના નિરાશાજનક પ્રદર્શનની સાથે એનડીએ ઘણો પાછળ રહી ગયો છે.

કોંગ્રેસે એકલે હાથે ૨૦૦ બેઠક મેળવી લીધી છે અને યુપીએ લગભગ ૨૪૭ બેઠકો પર આગળ રહ્યો છે. જયારે ભાજપ ૧૨૧ બેઠકો પર આગળ છે અને એનડીએ ૧૬૩ બેઠક પર આગળ રહ્યો છે. સૌથી મોટો જાકારો પોલિટિકલ બ્લેકમેઈલિંગ કરનાર ડાબેરીઓને મળ્યો છે. જેનું સંખ્યાબળ ૫૯થી ઘટીને ૨૪ થઈ ગયું છે.

UPA

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી છે અને ગત સામાન્ય ચૂંટણીમાં ૯ બેઠકો મેળવનારી કોંગ્રેસે બેઠકોના આંકડાને બમણા કરતાં પણ વધુ કરી લીધો છે. આ જ રીતે કેરળમાં ગત ચૂંટણીમાં પોતાની ખાતું પણ ન ખોલી શકનાર કોંગ્રેસે ડાબેરીઓના સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ફાઈનલ પરિણામો બહુ ઓછા જાહેર થયા છે જેમાં ગત વખતે ૨૦માંથી ૧૮ બેઠકો જીતનારો ડાબેરી મોરચો ફકત ૪ બેઠકો પર અટકી ગયો છે અને કોંગ્રેસને ૧૩ તથા તેના સાથી પક્ષોને ૩ બેઠકો મળી છે.

મંડલ પંચ, મંદિર ભુલાઈ ગયા :

દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં આ વખતે જનાદેશ નિર્ણાયક જોવા મળ્યો છે. જનતાએ એક બટન દબાવીને મંડલ અને મંદિરના મુદ્દાઓને ભુલાવી દીધા છે. વર્તમાન પરિણામથી સ્પષ્ટ થાય છે કે, જનતાએ વિકાસ તથા સ્થિરતાને મહત્ત્વ આપ્યું છે.

ભાજપને મોટો ફટકો :

ચૂંટણી પરિણામોમાં સૌથી મોટો ધક્કો ભાજપની રણનીતિને લાગ્યો છે. છેલ્લા ૨ વર્ષથી ચૂંટણીની તૈયારીઓ કરી રહેલા પક્ષની રણનીતિમાં ચૂંટણી નજીક આવતાં-આવતાં ખામીઓ દેખાવા લાગી હતી. કયારેક તે વિકાસ પર ફોકસ કરી રહી હતી તો કયારેક વરુણ ગાંધી બ્રાન્ડ રાષ્ટ્રવાદ પર.

BJP

મોંઘવારીનો મુદ્દો ગાયબ :

મોંઘવારીને લઇને જતાના રોષનો લાભ લેવાના બદલે તેમણે આ મુદ્દાને જ ભુલાવી દીધો. આતંકવાદના મુદ્દે પણ પક્ષ અફઝલ ગુરુના મુદ્દાથી આગળ વધી શકયો નહીં. વડાપ્રધાન મનમોહનસિંઘ પર અડવાણી તથા તેમની ટીમના વ્યકિતગત હુમલાઓએ બાકી બરયું હતું તે પૂરું કરી નાખ્યું. આ ઉપરાંત, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ગેરહાજરીમાં પક્ષ વેર-વિખેર થઇ ગયો.

પ્રાદેશિક પક્ષો માટે બોધપાઠ :

મંડલના ઘોડા પર સવાર થઇને કેન્દ્રને બ્લેકમેલ કરનારા પ્રાદેશિક પક્ષો માટે પણ આ પરિણામ એક બોધપાઠ સમાન છે. ચૂંટણીના બરાબર પહેલા મંડલના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ લાલુ યાદવ, રામવિલાસ પાસવાન અને મુલાયમસિંહ યાદવે યુપીએ સાથે છેડો ફાડયો હતો. જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો. મુલાયમ છોડીને બાકી તમામની સ્થિતિ નજર સમક્ષ છે.

CONG

બધા જવાબ ઠેરના ઠેર રહ્યા :

કયારેક વિક્રમી મત સાથે વિજય મેળવનારા પાસવાન પોતાની બેઠક પણ બચાવી શકયા નથી. લાલુ યાદવના પક્ષને પણ ઊધા મોઢે પછડાટ મળી છે. ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહ યાદવ ભલે આ બંને કરતાં સારી સ્થિતિમાં હોય, પરંતુ કેન્દ્રમાં સરકાર રચવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાના તેમના તમામ જવાબો ઠેરના ઠેર રહી ગયા છે. દક્ષિણમાં ડીએમકેને કોંગ્રેસ સાથે રહેવાનો ફાયદો મળ્યો છે તો જયલલિતાને અતિ મહત્ત્વાકાંક્ષાની કિંમત ચૂકવવી પડી છે.

BJP

યુવાન નેતૃત્વ

અત્યાર સુધી રાજકારણમાં ફૂંકી ફૂંકીને પગલાં આગળ વધી રહેલા રાહુલ ગાંધીનો યુવાન ચહેરો તથા યુવાનોને મહત્ત્વ આપવાની તેમની રણનીતિ સફળ થઇ છે. તેમના પ્રચારથી કોંગ્રેસ તે બેઠકો પર વિજય મેળવી શકી છે, જયાં તે વરસો પહેલાં આશા ગુમાવી ચૂકી છે.

ANYA

ડાબેરીઓના સૂપડાં સાફ

ગત ચૂંટણીમાં ઐતિહાસકિ ઊર્જા લઇને લોકસભામાં પ્રવેશ મેળવનારા અને સાડા ચાર વર્ષોસુધી કેન્દ્રને પોતાની આંગળીઓ પર નચાવનારા ડાબેરીઓને પણ આ વખતે જનાદેશ બાદ પોતાની આર્થિક નીતિઓ તથા કાર્યપદ્ધતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. વર્તમાન પરિણામોમાં ડાબેરીઓના તેમના પોતાના ગઢમાં જ સૂપડાં સાફ થઇ ગયા છે. Manmohanપરિણામને આમ સમજો

૧. આટલી મંદી અને મોંઘવારી છતાં કોંગ્રેસ કેમ જીતી?

>>>દરેક મતદારના મનમાં મંદીનો મુકાબલો કરવાની વાત હતી જ અને તે માટે તેઓ સ્થિર સરકાર ઈરછતા હતા જે તેમની સમજ પ્રમાણે કોંગ્રેસ જ આપી શકે તેમ હતી.
>>>મતદારો નવા પ્રયોગને બદલે નિવડેલી કોંગ્રેસને તક આપવા માગતા હતા.
>>>સામાન્ય માણસ ડો. મનમોહનસિંઘને ભલા અને ઈમાનદાર માને છે.
>>>ચૂંટણી પહેલાં અને પછી રાહુલ ગાંધી યુવાનોની આશાનું કેન્દ્ર બની રહ્યા.

૨ ભાજપને જાકારો કેમ મળ્યો?

>>>નકારાત્મક વાતો અને પ્રચારથી લોકો ત્રસ્ત.
>>>ભાજપ અંતિમવાદી મનાય છે. તેનો મવાળ ચહેરો અટલજી હતા જે ચૂંટણીમાં કયાંય દેખાયા નહીં.

૩. કિંગ મેકર્સને પરાજય કેમ?

>>>દેશ બ્લેકમેઈલિંગની રાજનીતીથી ત્રાસી ગયો હતો.
>>>આ વખતે પ્રજાએ પ્રાદેશીક પક્ષોને બદલે રાષ્ટ્રીય પક્ષો પર વધુ વિશ્વાસ મૂકયો હતો.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: