News News
વર્તમાનમાં રાજયસભાના સભ્ય એવા મનમોહનસિંઘ સામેનો વ્યૂહ લેતાં માકર્સવાદી નેતા પ્રકાશ કરાતે જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામો આવી ગયાં બાદ ડાબેરી પક્ષો વડાપ્રધાનપદ માટે લોકસભાના સભ્ય હોય એવી વ્યકિત પર પસંદગી કળશ ઢોળશે.
પોતે વડાપ્રધાનપદની રેસમાંથી બહાર હોવાની શકયતાને નકારી કાઢતાં કરાતે જણાવ્યું હતું કે ત્રીજો મોરચો સરકાર રચવાની સ્થિતિમાં આવશે તો વડાપ્રધાન પદ માટે યોગ્ય વ્યકિતની પસંદગી કરવામાં આવશે અને ડાબેરીઓએ વર્ષ ૨૦૦૪માં જેમ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું તેમ કોંગ્રેસે સમર્થન આપવું પડશે.
એક ટીવી ચેનલને મુલાકાત આપતાં કરાતે જણાવ્યું હતું કે આપણે રાજયસભાના સભ્યને વડાપ્રધાન બનતાં જોયા છે, પરંતુ આ વખતે લોકસભાના સભ્ય વડાપ્રધાન બને તે દિશામાં ચક્રો ગતિમાન થયાં છે. કરાતે જણાવ્યું હતું કે વર્તમાનમાં ડાબેરીઓ તરફથી વડાપ્રધાનપદના કોઇ ઉમેદવાર નથી, ચૂંટણી પછી કોઇ નામ સૂચવવામાં આવે છે કે કેમ? તે જોવામાં આવશે.
ચૂંટણી સંપન્ના થયા પછી જ ત્રીજા મોરચાના વડાપ્રધાનપદના ઉમેદવાર નક્કી થશે. માયાવતી વિરુદ્ધ જયલલિતા ચાલી રહેલી ચર્ચામાં પોતે ઝંપલાવવા માગતાં નથી એમ કહેતાં કરાતે જણાવ્યું હતું કે, અન્નાદ્રમુકના નેતાએ હજી વડાપ્રધાનપદની ઇરછા જાહેર કરી નથી.
એકમાત્ર બસપાએ જ પોતાના નેતાને વડાપ્રધાનપદના ઉમેદવારના રૂપમાં પ્રોજેકટ કર્યા છે. ચંદ્રાબાબુ અને દેવગૌવડા સહિતના ત્રીજા મોરચાના નેતાઓ આ મુદ્દે સ્પષ્ટ છે. અને જયલલિતાએ હજી કોઇ સંકેત આપ્યા નથી.